શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા-રંગબેરંગી શેવંતી અને ઓકિર્ડના મિક્સ ફૂલોનો શણગાર અને ૨૫૧ કિલો બુંદીના લાડુંનો અન્નકૂટ ધરાવાયો

શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા-રંગબેરંગી શેવંતી અને ઓકિર્ડના મિક્સ ફૂલોનો  શણગાર અને ૨૫૧ કિલો બુંદીના લાડુંનો અન્નકૂટ ધરાવાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૦
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે મંગળવારના પવિત્ર દિવસે દાદાના પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને અત્યંત આકર્ષક અને કલાત્મક શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજી દાદાને ખાસ એમ્બ્રોઇડરી વર્કવાળા કલાત્મક વાઘા પહેરાવવામાં આવ્યા હતા. શ્રીકષ્ટભંજનદેવના સિંહાસને રંગબેરંગી શેવંતી અને ઓકિર્ડના મિક્સ ફૂલોનો ઉપયોગ કરી મનોહર શણગાર કરવામાં આવ્યો હતો, દાદાને ૨૫૧ કિલો બુંદીના લાડુનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંગળવારના વિશેષ દિવસે વહેલી સવારે ૫:૩૦ કલાકે ભક્તિભાવપૂર્વક મંગળા આરતી અને  સવારે ૭ કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી ઉતારવામાં આવી હતી. આ અવસરે મંદિરના પ્રાંગણમાં પવિત્ર મારૂતિ યજ્ઞનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક યજમાનોએ આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. દાદાના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરવા ‘જય કષ્ટભંજન‘ ના નાદ સાથે મંદિર ગુંજી ઉઠયું હતું. ભક્તોએ દાદાના શણગાર અને અન્નકૂટના દર્શન કરી પરમ શાંતિની અનુભૂતિ કરી હતી.