દિલ્હી કાર વિસ્ફોટ આત્મઘાતી ફિદાઈન હુમલો હતો

દિલ્હી પોલીસે વિસ્ફોટ પૂર્વેના સીસીટીવી ફુટેજ કબ્જે કર્યા : હરીયાણાના ફરીદાબાદમાં ર૯૦૦ કિલો મોતનો સામાન પકડાઈ જતા ગભરાટ અને ભયભીત થઈને ઉમરે હુમલો કર્યો હોવાની અટકળો

દિલ્હી કાર વિસ્ફોટ આત્મઘાતી ફિદાઈન હુમલો હતો

(એજન્સી)     નવી દિલ્હી તા.૧૧
પાટનગર-દિલ્હીમાં ગઈકાલે ૬.૫૨ મિનિટે લાલ કિલ્લા પાસે થયેલા કાર-બોમ્બ વિસ્ફોટ એક ફિદાયીન- આત્મઘાતી હુમલો હતો તે નિશ્ચિત થયુ છે અને તેના તાર ગઈકાલે જ ફરિદાબાદમાં જે રીતે એમોનીયમ નાઈટ્રેટ સહિતના વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપાયો તેની સાથે સીધું કનેકશન જોવા મળ્યુ છે તથા આઈ-૨૦ કાર જેનો આ હુમલામાં ઉપયોગ થયો તે પુલવામા કનેકશન ધરાવતો ડો. ઉમર મોહમ્મદ ચલાવતો હતો.
તે ખુદને આ હુમલામાં ફિદાયીન તરીકે ઉપયોગ કરી જે વિસ્ફોટ કર્યો તેમાં નવ લોકોના મૃત્યુ થયા છે અને અનેક ઘાયલ 
થયા છે. જેમાં હવે આ ટેરર-મોડયુલ છેક કાશ્મીર સાથે જોડાયેલું હોવાનું અને પાકિસ્તાન સાથે પણ તેનું કનેકશન ખુલતા હવે તે અંગેની તપાસ ઉતરપ્રદેશ અને કાશ્મીરમાં કેન્દ્રીત થઈ છે.
મૂળ હરિયાણા પાસીંગની અને રી-સેલમાં છેક પુલવામાના તારીક પાસે પહોંચેલી આ કારનો ઉપયોગ ડો. ઉમરે ફિદાયીન-આત્મઘાતી હુમલામાં કર્યો હતો. પોલીસે બ્લાસ્ટસ પુર્વેના 
સીસીટીવી ફુટેજ કબ્જે કરીને સમગ્ર ઘટનાની કડીઓ પ્રસ્થાપીત કરવા પ્રયાસ કર્યો છે.
ડો. ઉમર આ વિસ્ફોટ સર્જવાના ઈરાદા સાથે જ લાલ કિલ્લા નજીકના મેટ્રો સ્ટેશનના પાર્કિંગમાં પહોંચ્યો હતો તેની સાથે કારમાં બે થી ત્રણ લોકો હતા અને ઉમરે સાંજના આ ક્ષેત્રમાં ભારે ભીડ જેવી સ્થિતિ બને તે જોવા માટે પાર્કિંગમાં કાર ઉભી રાખીને લગભગ ત્રણ કલાક કારમાં બેસી રહ્યો હતો અને સાંજે ૬.૫૨ કલાકે તે કારને પાર્કિંગમાંથી બહાર કાઢી હતી અને ખૂબજ ધીમી ગતિએ ચલાવી સિગ્નલ ‘રેડ‘ થાય અને આસપાસ અનેક કારો ઉભી રહે તે નિશ્ચિત કરીને પછી વિસ્ફોટ કર્યો હતો.
દિલ્હીમાં લાલકિલ્લા નજીક ગઈસાંજે પ્રચંડ-રહસ્યમય વિસ્ફોટ આતંકી હુમલો જ હોવાનું તપાસમાં સ્પષ્ટ થવા લાગ્યું છે. જયારે બ્લાસ્ટ પૂર્વેનાં પ્રથમ સીસીટીવી બહાર આવ્યા છે. જે કારમાં વિસ્ફોટ થયો હતો તે કાર પાર્કિંગમાં બપોરે ૩.૧૯ વાગ્યે પ્રવેશી હતી અને સાંજે ૬.૪૮ કલાકે બહાર નીકળી હતી.
હુન્ડાઈ આઈ-૨૦ કારમાં બ્લાસ્ટ થયો હતો.સીસીટીવી ઈમેજમાં ફરિદાબાદ ત્રાસવાદી મોડયુલમાં સામેલ ડો.મોહમ્મદ ઉંમર નજરે ચડે છે. કારમાં તે સવાર હતો. ઉમરે  બે સાથીદારો સાથે હુમલો કર્યાની શંકા છે. ફરિદાબાદમાંથી ૨૯૦૦ કિલો મોતનો સામાન પકડાઈ જવાને પગલે ગભરાટ અને ભયભીત થઈને આ હુમલો કરાયાની અટકળો વ્યકત થઈ રહી છે.
તપાસનીશ સુત્રોના કહેવા પ્રમાણે ડો.ઉંમરે કારમાં ડીટોનેટર મુકીને બ્લાસ્ટ કરાવ્યો હતો.પ્રચંડ વિસ્ફોટ માટે એમોનિયમ નાઈટ્રેટ ફયુઅલ ઓઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.