રેશનકાર્ડ ધારકો હવે ગમે તે દુકાનેથી રેશન ખરીદી શકશે

રેશનકાર્ડ ધારકો હવે ગમે તે દુકાનેથી રેશન ખરીદી શકશે

નવી દિલ્હી તા.23
દેશમાં રેશન એટલે કે સસ્તું અનાજ લેવાની વ્યવસ્થાને સરળ બનાવવા માટે સરકાર સતત ડિજિટલ સુવિધાઓ પર કામ કરી રહી છે. તાજેતરમાં જ સરકારે એક એવી સુવિધાનો અમલ શરૂ કર્યો છે, જેના દ્વારા હવે રેશન કાર્ડ ધારકોએ એક જ રેશન દુકાન પરથી અનાજ લેવાની જરૂર નથી. હવે તમે તમારી સુવિધા મુજબ કોઈપણ રેશનની દુકાન પરથી અલગ-અલગ અનાજ લઈ શકો છો, એટલે કે હવે તમે ક્યાંકથી ઘઉં તો ક્યાંકથી ચોખા લઈ શકશો.
આ ફેરફારની સૌથી ખાસ વાત એ છે કે હવે તમારે રેશન લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાની, મશીનમાં અંગૂઠો ન લાગવાની કે દુકાનમાં અનાજ ઉપલબ્ધ ન હોવાને કારણે પૂરું રેશન ન મળવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે. હવે જરૂરિયાત મુજબ, તમે કોઈ પણ દુકાન પરથી ઘઉં અને કોઈ દુકાન પરથી ચોખા લઈ શકો છો. આ માહિતીની જાણકારી સોશિયલ મીડિયા પર કેન્દ્રીય રાજ્ય મંત્રી બી. એલ. વર્માએ શેર કરી છે. સરકાર વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ રેશન વિતરણને સરળ બનાવવા માટે કામ કરી રહી છે. આ યોજના દ્વારા રેશન કાર્ડ ધારકો પોતાના રેશનનો અલગ-અલગ હિસ્સો પોતાની સુવિધા મુજબ અલગ-અલગ જગ્યાએથી લઈ શકે છે.