મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જનસેવક તરીકેની આગવી કર્તવ્ય નિષ્ઠા પોતાના જન્મ દિવસે સરકારી કામકાજમાં જ વ્યસ્ત રહ્યા
દિવસભર વિવિધ વિભાગોની કામગીરી સમીક્ષા બેઠકો યોજી અને ફ્લેગશીપ પ્રોજેક્ટ્સની સ્થળ મૂલાકાત કરી
ગાંધીનગર તા. 16
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની આગવી જનહિતલક્ષી સંવેદનશીલતા માટે મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકેની લોકચાહના મેળવી છે. તેમણે બુધવારે પોતાના જન્મદિવસે દિવસભર શહેરી વિકાસ વિભાગ, માહિતી પ્રસારણ વિભાગ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોની સર્વગ્રાહી કામગીરી સમીક્ષા બેઠકમાં વ્યસ્ત રહીને જનસુવિધા સુખાકારી માટેના કામોનું માર્ગદર્શન આપ્યુ હતું અને આ લોકચાહનાને વધુ પ્રબળ બનાવી હતી. એટલુ જ નહિ, વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ અને દેશના ફાયનાન્સિયલ હબ તરીકે પ્રથાપિત થઈ રહેલા ગિફ્ટ સિટીમાં કાર્યરત અને પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થળ મૂલાકાત કરીને સ્થળ સમીક્ષા હાથ ધરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સહિત જુદા જુદા રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, કેન્દ્રિય મંત્રીઓ અને પદાધિકારીઓ તથા સમાજ જીવનના અગ્રણીઓ વગેરે મુખ્યમંત્રીને તેમના જન્મ દિવસ પ્રસંગે ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે એવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ પોતાના જન્મદિવસે કામકાજની શરૂઆત રાજ્ય મંત્રીમંડળની બેઠકથી કરી હતી અને ત્યારબાદ સતત વિભાગોની બેઠકોમાં વ્યસ્ત રહ્યા હતા.


