સોમનાથ સર્કીટ હાઉસ ખાનગી કંપનીને લીઝ ઉપર સોંપાયુ
ગીર સોમનાથ તા.૩૧
સોમનાથ સર્કીટ હાઉસને ખાનગી કંપનીને લીઝ ઉપર સોંપવામાં આવ્યું છે. અમદાવાદની મેક વે કંપનીએ તેનું સંચાલન સંભાળ્યું હોવાનું જાણવા મળે છે. નવુ સંચાલન આવતા રૂમ ભાડામાં વધારો કરાયો છે. જેને લઈને યાત્રિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. વી-વીઆઈપી રૂમના 7100, વીઆઈપી 6200, ડીલક્ષ 4200 સુધી ભાડુ છે. સરકારી સંચાલન હેઠળમાં ભાડુ આશરે 2800 હતું ખાનગીકરણ બાદ સુવિધા સામે મોંઘવારીનો પ્રશ્ન પણ ઉભો થયો છે. વર્ષ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. અંદાજીત રૂા.30.50 કરોડના ખર્ચે આલીશાન સર્કીટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વાર્ષિક નિભાવ ખર્ચ રૂા.1.25 કરોડ સામે આવક સામાન્ય રહી હતી. સરકારે સોમનાથ, દ્વારકા, આબુ અંબાજી ત્રણેય તીર્થધામોના સરકારી અતિથિગૃહો લીઝ પર આપ્યા છે. વાર્ષિક 80 લાખનું ભાડુ અને 10 વર્ષ માટે લીઝ ઉપર અપાયું હોવાનું જાણવા મળેલ છે.


