બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓએ ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે સજ્ર્યો અનોખો ઈતિહાસ
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના જૂનાગઢના કુલ ૩૦૦ બાળકો અને બાલિકાઓએ સંસ્કૃત શ્લોકો મુખપાઠ કરી પુરાણોની પરંપરાને જીવંત કરીને ભવ્ય હોમાત્મક યજ્ઞ કર્યો
જૂનાગઢ તા.ર૯
આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા સામે દૃષ્ટિ કરીએ તો જણાય છે કે ઋષિ-મુનિઓના આશ્રમમાં બાળપણથી જ બાળકોને મુખપાઠ દ્વારા સંસ્કારિત કરવામાં આવતા કે જેના પરથી તેમના ઉત્કૃષ્ટ ભવિષ્ય કંડારવાનો એક મજબૂત આધાર તૈયાર થતો હતો. તેમાંથી જ ભારતને મહાન રાજાઓ, વિદ્વાનો, પંડિતો, વૈજ્ઞાનિકો અને ઋષિમુનિઓ મળ્યા છે. આજે ટેકનોલોજીના અસંયમિત ઉપયોગથી સુ-સંસ્કારોને ભૂલતા આ યુગમાં, મુખપાઠની પરંપરાથી આજના બાળકો ગભરાઈને દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ આપણી સનાતન વૈદિક પરંપરાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ફરીથી જીવંત કરી બતાવી છે. ગત વર્ષે દિવાળીના દિવસો દરમિયાન તેઓએ એક સંકલ્પ જાહેર કર્યો હતો કે, ‘આવતી દિવાળી સુધીમાં બી.એ.પી.એસ. સંસ્થાની બાળસંસ્કાર પ્રવૃત્તિનાં ૧૦,૦૦૦થી વધુ બાળ બાલિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરે.’ આ સંકલ્પ, તેઓએ એક પત્રના માધ્યમ દ્વારા તેઓએ વ્યક્ત કર્યો હતો.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના એ સંકલ્પ મુજબ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા ગત વર્ષથી ૮૫૦૦ થી અધિક બાળ બાલિકા સેન્ટરના ૧૭,૫૦૦ થી અધિક બાળ બાલિકા પ્રવૃત્તિ કાર્યકર્તાઓએ વૈદિક અને શાશ્વત પરંપરાનું પુનરાવર્તન કરવાનું મુખપાઠનું અભિયાન શરુ કર્યું. આજે ૧ વર્ષ બાદ કુલ ૧૫,૬૬૬ બાળ-બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો વિક્રમ સર્જી દીધો છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ દિલ્હીના ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિએ મહંત સ્વામી મહારાજને અભિનંદન પાઠવતો પત્ર લખ્યો હતો, જેમાં તેઓએ જણાવ્યું હતું કે, સંભવત: આ એક વિશ્વવિક્રમ છે કે જેમાં ૩ વર્ષથી લઈને ૧૩ વર્ષ સુધીના ૧૫૦૦૦ થી વધુ બાળકોએ સમગ્ર સંસ્કૃત ગ્રંથનો મુખપાઠ એક વર્ષમાં પૂર્ણ કર્યો છે.

આ મુખપાઠ યજ્ઞમાં ૩ વર્ષથી ૧૩ વર્ષ સુધીનાં બાળકો અને બાલિકાઓ જોડાયા હતા. આ બાળકો અને બાલિકાઓને મુખપાઠ કરાવવામાં તેઓના વાલીઓની પણ ખૂબ મહેનત જોવા મળી હતી. ઘણા? બાળકો ખૂબ જ નાના હતા કે જેઓ હજુ લખી કે વાંચી શકતા નથી છતાં પણ તેમણે પોતાની માતાના સહયોગથી માત્ર સાંભળીને શ્લોક યાદ રાખી પોતાની કાલી ઘેલી ભાષામાં મુખપાઠ પૂર્ણ કર્યો હતો. વાલીઓ બાળકોના અભ્યાસની સાથે સમયની અનુકુળતા કરી, બાળકોને મુખપાઠ કરાવતા.
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદમાં કહેલું હતું કે, ‘મુખપાઠથી સત્સંગ અને અભ્યાસ બન્નેમાં ખૂબ પ્રગતિ થશે.’ આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે મુખપાઠ દ્વારા અને તેમાં પણ સંસ્કૃત ભાષાના મુખપાઠ દ્વારા યાદશક્તિ અને બૌદ્ધિક ક્ષમતામાં ખૂબ વધારો થાય છે. આ મુખપાઠ અભિયાનમાં જોડાયેલ બાળકો અને બાલિકાઓના વાલીઓને મુખપાઠ દરમિયાન તેમના બાળકોમાં રહેલી ક્ષમતા વિવિધ પ્રસંગોએ પ્રત્યક્ષ રૂપે જોવા મળી હતી. મોટા ભાગના બાળકોએ મુખપાઠ એવી રીતે કર્યો છે કે તેઓ ફક્ત નંબર પરથી શ્લોકો મોઢે બોલી શકે છે, શ્લોકોના અર્થ પણ બોલી શકે છે, અને વિષય મુજબ શ્લોકોનું વર્ગીકરણ પણ કરી શકે છે.
આ મુખપાઠ અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, જૂનાગઢ ખાતે તા. ૨૮ ઓક્ટોબર, મંગળવારના રોજ બી.એ.પી.એસ. બાળપ્રવૃતિ દ્વારા પૂજ્ય સંતોના વિદ્વત્તાસભર માર્ગદર્શન હેઠળ ‘સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન પરંપરાને સજીવન કરનાર કુલ ૩૦૦ જેટલા બાળ બાલિકાઓ આ વૈદિક હોમાત્મક યજ્ઞમાં જોડાયાં હતા, જેમા વેરાવળ બંદર કઠાના ખારવા કુટુંબના બાળકોએ પણ સત્સંગને લઈને શ્લોકોનો મુખપાઠ કરેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ યજ્ઞમા જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી તેજસ પરમાર પણ જોડાયા હતા.
આ સમગ્ર મુખપાઠ આયોજનમાં બી.એ.પી.એસ. સંસ્થાના બાળ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયના સંતો, જૂનાગઢ શહેર બાળ પ્રવૃત્તિ સંભાળતા પૂજ્ય સિધ્ધાંતનિષ્ઠ સ્વામી, અને ગ્રામ્ય વિસ્તારની બાળ પ્રવૃત્તિ સંભાળતા પૂજ્ય પરમનિલય સ્વામી અને પૂજ્ય અક્ષરમંગલ સ્વામી અને બાળ કાર્યકરોની ટીમે ખૂબ જહેમત ઉઠાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર અઠવાડીયે વિશ્વભરના બી.એ.પી.એસ.ના વિવિધ સેન્ટરોમાં યોજાતી બાળ બાલિકા સભા દ્વારા ભારતીય સંસ્કૃતિમાં રહેલ જીવનમૂલ્યો શીખી રહ્યા છે, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના સંયમથી બી.એ.પી.એસ. આજે એવા બાળ બાલિકાઓને તૈયાર કરી રહી છે, જેઓ માત્ર સમય સાથે આગળ વધતા નથી પણ પોતે સમયને બદલી શકે એવી ક્ષમતા ધરાવે છે.


