બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા
(એજન્સી) ઢાકા તા.૧૬ :
બાંગ્લાદેશમાં વધુ એક હિદુની હત્યા થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિદુ સમુદાયને સતત નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આ સ્થિતિ હજી પણ યથાવત જોવા મળી રહી છે. હિંદુઓના માત્ર હેરાન જ નહીં પરંતુ હવે જાહેરમાં હિદુઓની હત્યાઓ પણ થવા લાગી છે. બાંગ્લાદેશના નરસિગડી જિલ્લામાં ફરી એક હિદુની હત્યા થઈ છે. કરિયાણાની દુકાનદાર મોની ચક્રવર્તીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. મોની પોતાની દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો.
હિંદુ વેપારી ગંભીર રીતે ઘાયલ થયો હોવાના કારણે સ્થાનિક લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પલાશ પોલીસ સ્ટેશનના અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી હતી. પોલીસની જણાવ્યાં પ્રમાણે હત્યામાં તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને પોલીસ હવે આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.


