મહાશિવરાત્રીનાં મીનીકુંભ સમાન મેળાનો ધ્વજારોહણ સાથે થયેલ પ્રારંભ
સાધુ સંતો, ધારાસભ્ય, મેયર, જિલ્લા કલેકટર, મ્યુની. કમિશ્નર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ ભરડાવાવથી આસ્થાભેર પદયાત્રા કરીને ભવનાથ મંદિર પહોંચી ધ્વજારોહણ કરી મેળાનો પ્રારંભ કરાવ્યો
જૂનાગઢ તા.૧૧
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં શિવરાત્રીનાં મહામેળાનો આજથી ભકિતભાવ પૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. સંતો, મહંતો, પદાધિકારીઓ અને ભાવિકોની ઉપસ્થિતિમાં લાખો શ્રધ્ધાળુનાં આસ્થાનાં કેન્દ્ર એવા સ્યંભુ ભવનાથ મહાદેવ મંદિરે પપ કિલોનાં દંડ પર ધ્વજા ચડાવવામાં આવી હતી. અને ધ્વજારોહણનો આ કાર્યક્રમ ખુબ જ ઉત્સાહભેર યોજાયો હતો. આજ તા. ૧૧ ફેબ્રુઆરીથી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન શિવરાત્રીનો મેળો યોજાઈ રહયો છે ત્યારે ભાવિકો મોટી સંખ્યામાં મેળો મહાલવા ઉમટી પડશે અને તેને લઈને અનેક પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતા મહાશિવરાત્રીના મેળાનો આજે મહાવદ -૯ ના હર હર મહાદેવના જયકાર સાથે વિધિવત પ્રારંભ થયો છે. ઐતિહાસિક બનવા જઈ રહેલા મહાશિવરાત્રીનાં મેળાનો સાધુ સંતો, પદાધિકારી અને અધિકારીઓએ ઘ્વજાજીના શાસ્ત્રોત પૂજન સાથે ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ કરીને ભક્તિમય માહોલમાં શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર ભવનાથ તળેટી ‘હર હર મહાદેવ‘ અને ‘જય ગિરનારી‘ના નાદથી ગુંજી ઉઠી હતી. મહાશિવરાત્રીના મેળામાં આ વર્ષે પ્રથમ વખત અધિકારીઓ પદાધિકારીઓએ -સાધુ સંતોએ ભરડાવાવથી પદયાત્રા કરી હતી. મહાશિવરાત્રીના મેળાના પ્રારંભ વેળાએ શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી મહેન્દ્રાનંદ ગીરીબાપુ, શ્રી ભારદ્વાજ ગીરીબાપુ, શ્રી હરિહરાનંદ બાપુ શ્રી રામદાસ બાપુ, શ્રી કિશનદાસ બાપુ, શ્રી હંસ ગીરીબાપુ, શ્રી મહેન્દ્રાનંદગીરી,શ્રી રામરૂપદાસ બાપુ તેમજ જુના ,આહવાન અને અગ્નિ અખાડા,જુદા જુદા અખાડાના સાધુઓ ઉપરાંત મેયર શ્રી ધર્મેશભાઈ પોશીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ, ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, કમિશ્નર તેજસ પરમાર, મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, અગ્રણી ધવલભાઈ દવે, યોગીભાઈ પઢીયાર સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી સંપન્ન થયેલ ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો સંગમરૂપ પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં દેશભરમાંથી નાગા સાધુઓ, અને લાખો ભક્તો દર્શનાર્થે આવે છે.



