ગુજરાતમાંથી જૈશના પાંચ આતંકીની ધરપકડ : વિસ્ફોટકોનું પરીક્ષણ કરી રહ્યા હતા

ગુજરાતમાંથી જૈશના પાંચ આતંકીની ધરપકડ : વિસ્ફોટકોનું પરીક્ષણ કરી રહ્યા હતા

(બ્યુરો)          અમદાવાદ તા.17
ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદના વધુ ૫ાંચ આતંકીની ધરપકડ કરી છે. 
અગાઉ ATSએ 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ ૫ાંચ નામ સામે આવતા ATSએ આતંકીઓની ધરપકડ કરી છે. પાંચેય ગુજરાતના જ અલગ-અલગ જિલ્લામાંથી ઝડપાયા છે. પાંચેય પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. આ કેસમાં અગાઉ અનેક શકમંદની પૂછપરછ કરીને નિવેદન લેવામાં આવ્યા હતા, જે બાદ પાંચની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલા આતંકીઓ અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓ સાથે જ સંકળાયેલા હતા. આ તમામ વિસ્ફોટકોનું પરીક્ષણ પણ કરી રહ્યા હતા. હાલ તમામને ATSની ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે.
3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીની ધરપકડ કરી હતી. આ શખસો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. 
જે અંગેની બાતમી એટીએસને મળતા અલગ-અલગ ૫ાંચ ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ATS ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખસની ધરપકડ કરી હતી. ત્યારબાદ ATSએ આતંકીઓની પૂછપરછ કરી હતી, જેમાં વધુ પાંચના નામ ખુલતા 16 જુલાઈએ ધરપકડ કરાઈ છે. તપાસમાં આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હોવાનો એટીએસએ ઘટસ્ફોટ કર્યો હતો.