જૂનાગઢમાં ‘ખેલો ઈન્ડિયા સંવાદ’ યોજાયો, યુવાનો અને ખેલાડીઓ વચ્ચે સીધો સંવાદ

વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના યુવાનોને સંબોધ્યા, રમતગમત અને ફિટનેસ માટે પ્રેરણા આપી

જૂનાગઢમાં ‘ખેલો ઈન્ડિયા સંવાદ’ યોજાયો, યુવાનો અને ખેલાડીઓ વચ્ચે સીધો સંવાદ

જૂનાગઢ, તા.૨૭
આગામી રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ઉપક્રમે મારો યુવા ભારત (MY Bharat), જૂનાગઢ તથા રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સંયુક્ત ઉપક્રમે બહાઉદ્દીન સાયન્સ કોલેજ ખાતે ‘ખેલો ઈન્ડિયા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના પ્રારંભે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના યુવાનોને સંબોધિત કર્યા હતા. તેમણે યુવાનોને રમતગમત સાથે જોડાવા, ફિટનેસને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા તેમજ રમતગમતના ક્ષેત્રમાં ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનો સાથે સંવાદ કરતાં રમતગમતનું મહત્વ, યુવા શક્તિની ભૂમિકા અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. યુવાનોએ પણ ધારાસભ્ય સાથે વિવિધ મુદ્દાઓ પર સંવાદ કરી પોતાના પ્રશ્નો, સૂચનો અને વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં ગાંધીનગર ખેલો ઈન્ડિયા સેન્ટરના કબડ્ડી ખેલાડી સંદીપ, નડિયાદના વોલીબોલ ખેલાડી સ્નેહા તથા સ્થાનિક કુસ્તી ખેલાડી રાઠોડ બાંસરી ઉપસ્થિત રહ્યા હતા. ખેલાડીઓએ પોતાના રમતગમત ક્ષેત્રના અનુભવો યુવાનો સાથે વહેંચ્યા હતા. સાથે જ રમતગમતમાં ઉપલબ્ધ તકો, તાલીમ, પડકારો અને કારકિર્દીની સંભાવનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
યુવાનોએ ખેલાડીઓને રમતગમતમાં કારકિર્દી, તાલીમની સુવિધાઓ, વિવિધ સ્પર્ધાઓ અને રમત પ્રતિભાઓને મળતી તકો અંગે પ્રશ્નો પૂછ્યા હતા. ખેલાડીઓએ જવાબ આપતાં નિયમિત અભ્યાસ, શિસ્ત, દૃઢ સંકલ્પ અને સતત મહેનતને સફળતાની ચાવી ગણાવી હતી.
આ કાર્યક્રમમાં બહાઉદ્દીન સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. આર. પી. ભટ્ટ, ઉપાચાર્ય પ્રો. ડૉ. એમ. એમ. જાની, જિલ્લા NSS નોડલ અધિકારી ડૉ. પરાગ દેવાણી, મારો યુવા ભારત, જૂનાગઢના જિલ્લા યુવા અધિકારી મયંક ભદૌરિયા, પ્રોગ્રામ ઓફિસર કે. એલ. કરાંગિયા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના સફળ આયોજનમાં મારો યુવા ભારતના સ્વયંસેવકો ધ્રુવ પરમાર, કૃશા નિમાવત, નિલેશ પોરાણિયા અને મહર્ષિ વિસાવડિયા સહિતના સ્વયંસેવકોએ સક્રિય સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન યુવાનોએ ‘Viksit Bharat Young Leaders Dialogue’ અંતર્ગત યોજાયેલી પ્રશ્નોત્તરી સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. ઉપરાંત, મારો યુવા ભારત પોર્ટલના માધ્યમથી આઈડિયા બોક્સમાં યુવાનોએ પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા.