પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડીઝલના જથ્થાબંધ વેચાણ પર પ્રતિબંધ
એક દિવસમાં એક ગ્રાહકને 200 લીટરથી વધુ ડીઝલ નહીં મળે
(એજન્સી) નવી દિલ્હી,તા.12:
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, કેન્દ્ર સરકારે સામાન્ય માણસને પેટ્રોલ-ડીઝલના પુરવઠા અંગે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે એક મોટું પગલું ભર્યું છે. સરકારી આદેશ અનુસાર, ઔદ્યોગિક, વાણિજ્યિક અને સંસ્થાકીય વપરાશકર્તાઓ હવે પેટ્રોલ પંપ પરથી જથ્થાબંધ પેટ્રોલ-ડીઝલ ખરીદી શકશે નહીં. તેમને તેમની તેલની જરૂરિયાતો જથ્થાબંધ વેચાણ મથકો પરથી ખરીદવાની સૂચના આપવામાં આવી છે. સરકારી સૂચના અનુસાર, દેશના કેટલાક ભાગોમાં તેલની માંગ, ખાસ કરીને ડીઝલમાં અચાનક થયેલા વધારાને નિયંત્રિત કરવા માટે આ ર્નિણય લેવામાં આવ્યો હતો. આ પગલા પાછળ સરકારનો ઉદ્દેશ્ય કોઈપણ સંગ્રહખોરીને રોકવાનો છે.
હકીકતમાં, જથ્થાબંધ અને છૂટક તેલના ભાવમાં નોંધપાત્ર તફાવત હોવાને કારણે, મોટા ખરીદદારો જથ્થાબંધ વિતરકોને બદલે સીધા પેટ્રોલ પંપ તરફ વળવાનું શરૂ કરી દીધું હતું. જેનાથી સામાન્ય માણસ માટે કટોકટીનું જોખમ વધ્યું. સરકારના પ્રતિબંધ પાછળની ગણતરીઓ ખૂબ જ રસપ્રદ છે. હાલમાં, દિલ્હીમાં પેટ્રોલ પંપ પર ડીઝલનો ભાવ રૂ.95.20 પ્રતિ લિટર છે, જ્યારે જથ્થાબંધ ભાવ રૂ.134.50 પ્રતિ લિટર છે. આ નોંધપાત્ર ભાવ તફાવત એટલા માટે ઉભો થયો કારણ કે સરકારી માલિકીની તેલ કંપનીઓએ વૈશ્વિક કટોકટીની અસરથી સામાન્ય લોકોને બચાવવા માટે છૂટક ભાવોને નિયંત્રણમાં રાખ્યા છે.


