વંથલીના ઝાંપોદર ખાતે આયોજિત સેવાસેતુ કાર્યક્રમનો ૮ ગામના લોકોને લાભ મળ્યો
સરળ અને સુલભ રીતે ગ્રામજનોને મળ્યો સરકારી સેવાનો લાભ
જૂનાગઢ તા.૧૦
વંથલીના ઝાપોદર ગામે સફળતાપૂર્વક સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેનો આસપાસના ૮ જેટલા ગામના લોકોએ લાભ મેળવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામજનોએ સરળ અને સુલભ રીતે વિવિધ સરકારી સેવાનો લાભ પ્રાપ્ત થયો હતો.
રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પ્રાપ્ત થાય તેમજ જનસુખાકારી માટે પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ "સેવાસેતુ ૨.૦(ગ્રામ્ય) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વંથલી તાલુકાના ઝાંપોદડ ગામના કનેરિયા પટેલ સમાજ ખાતે આયોજિત આ સેવાસેતુ કાર્યક્રમનો ૮ ગામના ગ્રામજનોની અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
આ સેવાસેતુનો ઝાંપોદડ, ડુંગરી, નરેડી, નાવડા, મેઘપુર, ઘંટીયા, બંટીયા, સાંતલપુર સહિતના ગ્રામજનોએ ઘર આંગણે વિવિધ સરકારી સેવાઓના લાભ તેમજ જાણકારી મેળવી હતી. આમ, ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.
સેવાસેતુના લાભાર્થી મેહુલભાઈ જાનીએ જણાવ્યુ હતુ કે, આ સેવાસેતુ કાર્યક્રમ થકી સરકારની બધી જ સેવાઓનો એક જ સ્થળ પર દરેક લોકોને લાભ મળી રહે છે. આસપાસના આઠ ગામના લોકો માટે આ કાર્યક્રમ સફળ નીવડ્યો છે અને ખૂબ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમનો ગ્રામજનો લાભ પણ મેળવ્યો છે. આ સાથે તેમણે રાજ્ય સરકાર અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.


