દ્વારકામાં દિપાવલી - નવવર્ષના તહેવારોની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરાઈ

જગતમંદિરમાં હાટડી દર્શન - અન્નકુટ દર્શનનો હજારો ભાવિકોએ લાભ લીધો

દ્વારકામાં દિપાવલી - નવવર્ષના તહેવારોની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરાઈ

શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિમાં ભગવાન રામચંદ્રનો અયોધ્યામાં ગાદી સંભાળ્યાના દિન તથા પ્રકાશના પર્વ તરીકે ઓળખાતા દિપાવલી તેમજ નૂતન વર્ષ અને ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ અને ધાર્મિક રીત રસમ સાથે ઊજવણી કરવામાં આવી હતી. દિપાવલીના દિવસે જગતમંદિરમાં યોજાયેલ હાટડી દર્શન તથા બીજા દિવસે યોજાયેલ અન્નકુટ ઉત્સવ મનોરથનો ભાવિકોએ લાભ લીધો હતો. દિપાવલી પર્વ નિમિતે રાજાધિરાજને અલૌકિક વસ્ત્ર પરિધાન, સુવર્ણ - ચાંદી તથા અન્ય ઉચ્ચધાતુઓના અલંકારો તથા ઝવેરાતોનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આ અલૌકિક દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોને થયો હતો. દિપાવલી પર્વ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિરને વિશેષ લાઈટીંગ ડેકોરેશન રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હોય રાત્રિના સમયે જગતમંદિરની ત્રિજયામાં દસ દસ કિમી સુધી દૂરથી ઝળહળતાં જગતમંદિરનો નઝારો જોવા મળ્યો હતો. જગતમંદિરમાં આવેલાં નાના-મોટા અન્ય મંદિરોમાં પણ વિશેષ શૃંગારને લીધે ભગવાનના દિવ્ય શૃંગારની અલગ અલગ ઝાંખી ભાવિકોને મળી હતી.

દ્વારકા બેટ દ્વારકામાં દિવાળીના તહેવારોમાં ઉમટયો માનવ મહેરામણ ૫ કિમી સુધી વાહનોની કતાર : ટ્રાફીક બની સમસ્યા

શ્રીકૃષ્ણ ભગવાનની કર્મભૂમિ દ્વારકામાં હાલમાં ચાલી રહેલાં દિવાળીના મીની વેકેશનમાં દિવાળી સુધીના શરૂઆતના દિવસોમાં યાત્રાળુંઓના પ્રવાહમાં મંદી જોવાયા બાદ નવવર્ષથી શરૂ થયેલ ગુજરાતભરના ટુરીસ્ટને લીધે સમગ્ર દ્વારકાનગરીમાં આવેલાં હોટલ ધર્મશાળા ગેસ્ટહાઉસ ભવનો હાઉસફુલ જોવા મળ્યા હતા. ઓખા દ્વારકા જામનગર હાઈવે રોડ પર પાંચ કિમી સુધી વાહનોની કતારો પણ જોવા મળી હતી. તહેવારોના દિવસોમાં વ્યાપક ટુરીસ્ટને લીધે ટ્રાફીક સમસ્યા સમાન બનતી જોવા મળી હતી. આગામી પખવાડિયા સુધી હજુ પણ વેકેશનનો સમયગાળો હોય યાત્રાળુઓ તથા ટુરીસ્ટનો અવિરત પ્રવાહ દ્વારકા તરફ રહેશે તેવું જણાઈ રહયું છે. દિપાવલી તહેવારો તેમજ નવવર્ષના શ્રીજીના વિશેષ શૃંગાર તેમજ ભાઈબીજના દિવસે ગોમતી સ્નાન કરવા હજારો ભાવિકો ઉમટી પડયા હતા. તહેવારોની ઉજવણી તેમજ વેકેશનનો સદુપયોગ કરવા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત અને બહારના યાત્રીકો મોટી સંખ્યામાં હાલમાં દ્વારકામાં જોવા મળી રહયા હોય જગતમંદિર સંલગ્ન મંદિર ચોક, પૂર્વ દરવાજા નીલકંઠ ચોક જેવા વિસ્તારો તેમજ ગોમતી ઘાટ, સુદામા સેતુ, રીલાયન્સ માર્ગ, જોધા માણેક રોડ, તીનબતી ચોક, ભદ્રકાલી ચોક, જવાહર રોડ જેવા ભરચકક વિસ્તારોમાં સવિશેષ ભીડભાડ જોવા મળી રહી છે. પીક અવર્સ દરમ્યાન ટ્રાફીકની પણ સમસ્યા જોવા મળતી હોય અને શહેરભરમાં ઠેરઠેર વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે ટ્રાફીક વિભાગ દ્વારા ઠેરઠેર બેરીકેટસ લગાવી ટ્રાફીક નિયમન કરાઈ રહયુ છે. યાત્રાધામમાં આવેલાં રેસ્ટોરાં તથા હોટલો, ધાબાઓ વગેરેમાં પણ યાત્રીકોની પુષ્કળ ભીડભાડ જોવા મળી રહી છે. આગામી પખવાડિયા સુધી યાત્રાધામમાં વેકેશનને લીધે ભીડભાડ જોવા મળે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.

ભાઈબીજના દિવસે પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું

ભાઈબીજના પવિત્ર દિવસે દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનું અનેરૂં મહત્ત્વ હોય હજારો ભાવિકોએ આ પાવન દિવસે પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. તેમજ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ગોમતીજીની વિશેષ આરતી, દીપદાન તથા ચુંદડી મનોરથ

ગોમતી ભાઈબીજના દિવસે નદીમાં સ્નાનનું સવિશેષ મહત્વ હોય હજારો ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. સાંજે માં ગોમતીની મહાઆરતી પણ કરવામાં આવી હતી. તેમજ ચુંદડી મનોરથ પણ આવ્યો હતો. યોજવામાં ભાઈબીજના દિવસે જ સાંજે પરંપરાગત રીતે સ્થાનીય મહિલાઓ કુમારીકાઓ દ્વારા પવિત્ર ગોમતી નદીમાં દિવડાઓની હારમાળા તરતી મૂકવામાં આવી હતી. રાત્રિના સમયે સેંક્યો દિવડાઓના પ્રકાશમાં ગોમતી નદી તથા ઝળહળતાં દ્વારકાધીશ મંદિરનો દિવ્ય નજારો ભાવિકોને મળ્યો હતો.

ભાઈબીજના યમુનાજીએ ભાઈ યમરાજાને ભોજન માટે દ્વારકા આમંત્ર્યા દ્વારકાધીશ રાજાધિરાજને યમુનાજી સ્વરૂપ શૃંગાર

લોકવાયકા અનુસાર ભાઈબીજના દિને દ્વારકાધીશના અષ્ટપટ્ટરાણી પૈકીના એક યમુનાજીએ તેમના ભાઈ યમરાજને ભોજન માટે આમંત્રણ આપેલ. બહેનનું આમંત્રણ સ્વિકારી ભાઈબીજના દિવસે યમરાજે સોનાની દ્વારકામાં પધારી યમુનાજીના હાથે ભોજન કરી આશીર્વાદ પાઠવેલ કે આજના દિને કોઈપણ વ્યકિત ગોમતીજીમાં સ્નાન કરી દિપદાન કરશે તેમને યમરાજ કયારેય નડતરરૂપ થશે નહિં. ત્યારથી જ દ્વારકા શહેર તથા આસપાસના વિસ્તારની ગૃહીણીઓ દ્વારા ભાઈબીજની સંધ્યાએ ગોમતી નદીમાં દિપ તરાવવામાં આવે છે. દ્વારકાધીશને આ દિવસે સાંજે યમુનાજી સ્વરૂપનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો.

ધનતેરસથી ભાઈબીજ સુધીમાં ૪.૬૫ લાખ ભાવિકોએ ઠાકોરજીના દર્શન કર્યા ભાવિકોના જુવાળ સામે તંત્ર લાચાર : ભારે ઘસારાને લીધે એન્ટ્રી ગેઈટ નં. ૨ ખસ્યો

દર વર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલીના તહેવારો શરૂ થતાં જ દ્વારકા યાત્રાધામમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. વહીવટદાર કચેરી દ્વારા જાહેર કરેલ આંકડાઓ અનુસાર ધનતેરસથી ભાઈબીજ સુધીમાં આશરે ૪.૬૫ લાખ જેટલા ભાવિકોએ ઠાકોરજીના દર્શન કર્યા હતા. તહેવારના દિવસોમાં ભાવિકોની ભારે ભીડને લીધે ગઈકાલે એન્ટ્રી ગેઈટ નં. ૨ પાસેના હંગામી સ્ટ્રકચર ખસી ગયું હતું. ભાવિકોની ભારે ભીડ સામે લાચાર તંત્ર દ્વારા બપોરના સમયે પુનઃ હંગામી ગેઈટને પુનઃ મુળ જગ્યા પર ગોઠવવો પડયો હતો. આ અંગે સોશ્યલ મીડીયામાં વીડીયો વાયરલ થયા હતા.