મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓની શપથવિધિ સંપન્ન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મંત્રીઓને મહાત્મા મંદિર પરિસરમાં ગૌરવશાળી સમારોહમાં શપથ ગ્રહણ કરાવ્યા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા નવા વરાયેલા મંત્રીઓમાં 5 કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર)ના 3 મંત્રીઓ અને રાજ્યકક્ષાના 12 મંત્રીઓનો સમાવેશ, કેબિનેટ મંત્રી કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળીયા તથા રાજ્ય કક્ષાના પરષોત્તમ સોલંકીને વર્તમાન મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રી મંડળમાં સામેલ નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓની શપથવિધિ સંપન્ન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના મંત્રીમંડળમાં નવા સમાવિષ્ટ થયેલા નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીઓને હોદ્દા અને ગોપનિયતાના શપથ ગ્રહણ કરાવ્યાં હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલ સમક્ષ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી તથા રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના 5 અને રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો ધરાવતાં 3 તથા રાજ્ય કક્ષાના 12 પદનામિત મંત્રીઓએ ઈશ્વરના નામે શપથ લીધાં હતાં.

કેબિનેટ મંત્રી તરીકે જીતેન્દ્ર વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, ડો. પ્રદ્યુમ્ન  વાજા અને રમણ સોલંકીએ હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા. રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) ધરાવતા મંત્રી તરીકે ઈશ્વરસિંહ પટેલ,  પ્રફુલ્લ પાનસેરીયા તથા મનિષા વકીલે શપથ ગ્રહણ કર્યા હતાં. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાંતિલાલ અમૃતિયા, રમેશભાઈ કટારા, દર્શના વાઘેલા, કૌશીક વેકરીયા, પ્રવિણ માળી, ડો.જયરામ ગામીત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, પી.સી. બરંડા, સ્વરૂપજી ઠાકોર અને રિવાબા જાડેજાએ રાજ્યપાલ સન્મુખ શપથ ગ્રહણ કર્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના કેબનેટ મંત્રીઓ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળીયા તથા રાજ્યકક્ષાના  પરષોત્તમ સોલંકીને આ નવા મંત્રીમંડળમાં યથાવત રાખવામાં આવ્યાં છે.

આ શપથ વિધિ સમારોહમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી  જગતપ્રકાશ નડ્ડા, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા, સી. આર. પાટીલ, સાંસદો, ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ, વરિષ્ઠ અગ્રણીઓ, સાધુ સંતો અને સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ તથા અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો, પોલીસ મહાનિદેશક તેમજ વિશાળ સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવ પંકજ જોષીએ આ શપથવિધિ સમારોહનું સંચાલન કર્યું હતું.