૧૬ કરોડના દેવામાં ફસાયેલા અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલી વધી, બે સંપત્તિની હરાજી કરાશે

લોન માટે રાધા યાદવ અને માતા ગોદાવરી યાદવની સંપત્તિઓને પણ ગેરંટર તરીકે ગીરો રાખવામાં આવી હતી

૧૬ કરોડના દેવામાં ફસાયેલા અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલી વધી, બે સંપત્તિની હરાજી કરાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૭
બોલિવૂડના જાણીતા અને લોકપ્રિય અભિનેતા રાજપાલ યાદવ ફરી એકવાર ગંભીર કાનૂની અને આર્થિક મુશ્કેલીઓમાં ફસાયા છે. ચેક બાઉન્સના લાંબા સમયથી ચાલતા વિવાદાસ્પદ મામલાની વચ્ચે હવે તેમની મુશ્કેલીઓમાં વધુ મોટો વધારો થયો છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ દ્વારા ઉત્તર પ્રદેશના શાહજહાપુરમાં આવેલી તેમની બે મુખ્ય સંપત્તિઓ પર નીલામીનો સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઈને ફિલ્મ જગતમાં ભારે ચર્ચા જાગી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજપાલ યાદવે પોતાની ફિલ્મ 'અતા પતા લાપતા' ના નિર્માણ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી મોટી રકમની લોન લીધી હતી. સમયસર લોન અને વ્યાજની રકમ ન ચૂકવાતા આ બિલ વધીને આશરે રૂ. ૧૯,૯૧,૬૪,૦૦૦ સુધી પહોંચી ગયું છે. આ ભારેખમ રકમની વસૂલાત માટે બેંકે તેમની ગીરો રાખેલી પ્રોપર્ટીને સત્તાવાર રીતે કબજામાં લઈને નીલામીની પ્રક્રિયા તેજ કરી દીધી છે. જે આગામી ૯ સપ્ટેમ્બરે ઓનલાઈન હાથ ધરવામાં આવશે.બેંક રેકોર્ડ મુજબ શાહજહાપુરમાં રાજપાલ યાદવની બે સંપત્તિઓ નોંધાયેલી છે. જેમાં એક પ્રોપર્ટી શહેરની અંદર અને બીજી ગામડામાં આવેલી છે (જેમાં ખેતરો અને મકાનો સામેલ છે). આ બંને સંપત્તિઓની બજાર કિંમત અંદાજે રૂ. ૩, ૧૯, ૨૬,૦૦૦ આંકવામાં આવી છે. આ લોન માટે રાધા યાદવ અને માતા ગોદાવરી યાદવની સંપત્તિઓને પણ ગેરંટર તરીકે ગીરો રાખવામાં આવી હતી. જેના આધારે બેંકે આ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.શાહજહાપુર ઉપરાંત મુંબઈમાં પણ તેમની અન્ય સંપત્તિઓની નીલામીની પ્રક્રિયા સમાંતર ચાલી રહી છે. નોંધનીય બાબત એ છે કે જે કંપનીએ ચેક બાઉન્સનો કેસ દાખલ કર્યો હતો તેના માલિક પણ શાહજહાપુરના જ રહેવાસી છે. આ તમામ ઘટનાક્રમ બાદ અભિનેતા કાનૂની પ્રક્રિયા સાથે સાથે ગંભીર આર્થિક સંકટથી ઘેરાઈ ગયું છે. બેંક અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે લોનની રકમ વસૂલવા માટે આ સમગ્ર કાર્યવાહી પ્રક્રિયાગત નિયમોને આધીન જ કરવામાં આવી રહી છે.