ગત રાત્રે પાકિસ્તાને અફઘાનિસ્તાન ઉપર એરસ્ટ્રાઈક કરી : 29 આતંકવાદીઓ ઠાર

ગત રાત્રે પાકિસ્તાને અફઘાનિસ્તાન ઉપર એરસ્ટ્રાઈક કરી : 29 આતંકવાદીઓ ઠાર

ઇસ્લામાબાદ તા.29
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ત્રણ ઠેકાણાઓ પર હુમલો-એર સ્ટ્રાઈક કરવાનો દાવો કર્યો છે. પાકિસ્તાન અનુસાર, પહેલા ખૈબર પખ્તુનખ્વાના બાજોર જિલ્લામાં જમીની ઓપરેશન કરવામાં આવ્યું. ત્યારબાદ સરહદ પાર અફઘાનિસ્તાનની અંદર ત્રણ આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા. આ હુમલાઓમાં ૨૯ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હોવાનું પાકિસ્તાને જણાવ્યું હતું.
પાકિસ્તાનના સૂચના મંત્રી અતાઉલ્લાહ તરારે X પર લખ્યું - આ ઓપરેશન દેશમાં તાજેતરના આતંકવાદી હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યું. 
તેમાં જમાત-ઉલ-અહરાર અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. TTPનો કમાન્ડર ખાન ફરોશ પણ માર્યો ગયો હતો.
હુમલાના એક દિવસ પહેલા પાકિસ્તાનના કરાચીમાં સિંધ રેન્જર્સના હેડક્વાર્ટર પર હથિયારો અને વિસ્ફોટકોથી સજ્જ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. તેમાં ચાર રેન્જર્સ જવાન માર્યા ગયા હતા. જ્યારે, 6 હુમલાખોરો માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી જમાત-ઉલ-અહરારે લીધી હતી.