ખેતીબેંકની 75 વર્ષની અમૃતયાત્રાની ગૌરવપૂર્ણ થયેલ ઉજવણી
વર્ષ 2025-26 દરમ્યાન ખેતીબેંક 0% નેટ એનપીએ, રૂ. 111 કરોડનો ગ્રોસ પ્રોફિટ અને રૂ. 81કરોડનો નેટ પ્રોફિટ પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી
જૂનાગઢ તા.9
ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામ વિકાસ બેંક લિ. (ખેતી બેંક)ની 74મી વાર્ષિક સામાન્ય સભા રાજ્યપાલની ગૌરવમય ઉપસ્થિતિમાં યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન બેંકની 75 વર્ષની ગૌરવશાળી સેવા યાત્રાને સમર્પિત વિવિધ ઐતિહાસિક પહેલોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ખેતી બેંકના અધ્યક્ષ ડોલરભાઈ કોટેચાએ પોતાના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું કે ખેતી બેંક છેલ્લા 75 વર્ષથી ગુજરાતના અન્નદાતા ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે સમર્પિત રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવકમાં વધારો કરવાના વિઝન તથા “સહકાર સે સમૃદ્ધિ”ના રાષ્ટ્રીય મંત્રને કાર્યરૂપ આપવા સતત પ્રયત્નશીલ છે.
તેમણે જણાવ્યું કે વર્ષ 2025-26 દરમિયાન ખેતી બેંકે 0% નેટ એનપીએ, રૂા. 111 કરોડનો ગ્રોસ પ્રોફિટ અને રૂા. 81 કરોડનો નેટ પ્રોફિટ પ્રાપ્ત કરીને સહકારી બેંકિંગ ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
અધ્યક્ષએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 6 જુલાઈ, 2021 ના રોજ સહકાર મંત્રાલયની સ્થાપના કરવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સાથે જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના દુરંદેશી નેતૃત્વ હેઠળ અમલમાં આવેલા ARDB કમ્પ્યુટરાઇઝેશન, મોડેલ બાય-લોઝ, ભારત ટેક્સી સહિતના સહકારી સુધારાઓને સહકાર ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાવ્યા હતા.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી દમદુપટ યોજના હેઠળ આશરે 14,000 ખેડૂત પરિવારોને લાભ મળશે અને અંદાજે રૂા. 8 કરોડની વ્યાજરાહત મળશે. તેમણે વધુમાં જણાવ્યું કે ખેતી બેંકે વર્ષ 2025-26 સુધી વિવિધ વન ટાઇમ સેટલમેન્ટ (OTS) યોજનાઓ હેઠળ ખેડૂતોના હિતમાં રૂા. 123 કરોડનું વ્યાજ માફ કર્યું છે, જેના કારણે હજારો ખેડૂતોને નવી આર્થિક શરૂઆત કરવાની તક મળી છે.
કાર્યક્રમ દરમિયાન ખેતી બેંકની 75 વર્ષની ગૌરવગાથા દર્શાવતો “અન્નદાતાની અમૃતયાત્રા” સ્મૃતિગ્રંથ તથા 75 વર્ષની વિકાસયાત્રા દર્શાવતી ડિજિટલ ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમૃત મહોત્સવ વર્ષ નિમિત્તે પ્રતિનિધિઓ, સભાસદો અને કર્મચારીઓ માટે વિશેષ સર્વાંગી આરોગ્ય તપાસ અને નેત્ર તપાસ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું, જે સહકાર ક્ષેત્રમાં સામાજિક પ્રતિબદ્ધતાનું અનોખું ઉદાહરણ છે.
અધ્યક્ષએ જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રીના ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષાના આહ્વાનને અનુસરી ખેતી બેંકે પેટ્રોલ અને ડીઝલ આધારિત વાહનોના સ્થાને ઇલેક્ટ્રિક વાહનો (EV) અપનાવવાની પહેલ કરી છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ખેતી બેંક આગામી વર્ષોમાં પણ ખેડૂતોની સમૃદ્ધિ, ગ્રામ વિકાસ અને સહકારી ક્ષેત્રના આધુનિકીકરણ માટે વધુ પ્રતિબદ્ધતાથી કાર્ય કરીને ગુજરાત તેમજ દેશના સહકારી ક્ષેત્ર માટે પ્રેરણારૂપ સંસ્થા તરીકે આગળ વધતી રહેશે તેમ જણાવ્યું હતું.


