માંગરોળના હુસૈનાબાદ પાસે હાઈવે બંધ થતાં અટવાયેલા આશરે 900 યાત્રિકોની વહારે આવ્યું વહીવટી તંત્ર
મુક્તપુર સાયકલોન સેન્ટર ખાતે આશ્રય અપાયો : યાત્રિકો માટે ભોજન સહિતની વ્યવસ્થા કરાઈ
જૂનાગઢ તા.4
જૂનાગઢ જિલ્લાના માંગરોળ સહિતના પંથકમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ અસરગ્રસ્ત બન્યા હતા, જેના કારણે યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ કપરી પરિસ્થિતિમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે તેમની પડખે રહ્યું હતું.
દ્વારકાની યાત્રા પૂર્ણ કરી પોતાના વતન ડોળાસા જઈ રહેલા આશરે 900 યાત્રિકો માટે હુસૈનાબાદ ગામ નજીક નેશનલ હાઈવે ક્ષતિગ્રસ્ત બનતા મુશ્કેલી સર્જાઈ હતી. રસ્તો ખરાબ હોવાના પરિણામે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી, પરંતુ આ સ્થિતિમાં વહીવટી તંત્ર તેમની વહારે આવ્યું હતું.
વહીવટી તંત્ર દ્વારા આ તમામ યાત્રિકો માટે મુક્તપુર સાયકલોન સેન્ટર ખાતે ભોજન સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. આ પ્રવાસીઓમાં મહિલાઓ અને વયોવૃદ્ધો પણ સામેલ હોવાથી, મેડિકલ ટીમ દ્વારા તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. મધ્યાહન ભોજનના સંચાલકોએ પણ આ ભોજન વ્યવસ્થામાં પૂરતો સહયોગ આપ્યો હતો. હુસૈનાબાદ ગામ નજીકનો નેશનલ હાઈવે પૂર્વવત થતાં જ, તમામ 14 બસો પોતાના ગંતવ્ય સ્થાન તરફ રવાના થઈ હતી.


