દેશભરમાં જેન-ઝીમાં ભારે આક્રોશ : જૂનાગઢમાં પણ કલેકટર કચેરી ખાતે યુવાનોના ધરણા
જૂનાગઢ તા.21
દિલ્હીના જંતર-મંતર ખાતે સોનમ વાંગચુક દ્વારા વિદ્યાર્થીઓની હિતની માંગણીને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનના પડઘા આજે ગુજરાતમાં તેમજ જૂનાગઢ શહેરમાં પણ પડ્યા છે. આજે કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને યુવાનો દ્વારા એક દિવસીય ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. આ અંગે આંદોલન પર બેસેલા યુવાનોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિત માટે શિક્ષણ માટે સોનમ વાંગચુક દ્વારા દિલ્હી ખાતે લડત ચાલી રહી છે ત્યારે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓએ તેમના સમર્થનમાં એક દિવસીય ધરણાં પર બેસ્યાં હતાં. યુવાનો બેરોજગાર બની રહ્યાં છે, દેશની શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ રહી છે તેવી દરેક બાબતને લઈને વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું.


