રક્ષાબંધન પર્વ નિમિત્તે પોરબંદર શહેરમાં બહેનો તથા બાળકોને નિ:શુલ્ક સીટી બસ સેવાની ભેટ
ગોસા(ઘેડ) તા.૨૮
પોરબંદર મહા-નગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી દ્વારા આગામી રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પોરબંદર શહેરમાં બહેનો તથા બાળકો માટે નિ:શુલ્ક સીટી બસ મુસાફરીની સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા અંતર્ગત સીટી બસ સેવા કાર્યરત છે. આગામી તા. ૨૮ ઓગસ્ટને શુક્રવાર ના રોજ઼ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા તેમજ પરિવારજનો સાથે રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં અવરજવર કરતા હોય છે. રક્ષાબંધનના પવિત્ર પર્વને ધ્યાનમાં રાખીને શહેરની બહેનો તથા બાળકોને જાહેર પરિવહનની સુવિધા સરળતાથી મળી રહે અને તેમને અવરજવરમાં સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી એક દિવસ માટે નિ:શુલ્ક સીટી બસ મુસાફરીની સુવિધા આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. મેયર સાગરભાઈ મોદી દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતના પગલે રક્ષાબંધનના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા અંતર્ગત કાર્યરત સીટી બસોમાં નિર્ધારિત સમયગાળા દરમિયાન બહેનો તથા બાળકોને વિનામૂલ્યે મુસાફરીની સુવિધા ઉપલબ્ધ રહેશે. રક્ષાબંધનના પર્વે બહેનો અને બાળકો પોતાના પરિવારજનો તથા ભાઈઓ સાથે પર્વની ઉજવણી સરળતા થી કરી શકે અને જાહેર પરિવહન સેવાનો વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવશે. તેમનો બહોળો લાભ લેવા તેમજ રક્ષાબંધની શુભકામના પાઠવી છે.


